ઉત્ક્રાંતિવાદ
ઉત્ક્રાન્તિવાદના આદ્ય સ્થાપક ચાર્લ્સ ડાર્વિનનો જન્મ સને ૧૮૦૯ના ૧૨મી ફેબ્રુઆરીના રોજ થયેલો હતો. તે દિવસ આકસ્મિક રીતે અમેરિકામાં ગુલામી નાબુદ કરનાર કાન્તિકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનો પણ જન્મદિવસ છે. ઉત્ક્રાન્તિવાદ શું છે? તે સમજાવે છે કે કોઈ પણ પ્રાણી વર્ગ, જાતિ વિશેષ, માનવજાત સમેતનું કોઈ ખાસ સર્જનના ફળસ્વરૂપે અસ્તિત્વમાં આવેલ નથી. કિંતુ તે કોઈને કોઈ પ્રકારના આગોતરા–પ્રાથમિક કે સાદા સ્વરૂપમાં થયેલ ક્રમિક વિકાસને પરિણામે આજની વર્તમાન સ્થિતિએ પહોંચી શક્યો છે– એવો સિદ્ધાંત કે વાદ એટલે ઉત્ક્રાન્તિવાદ. ઉપરનાં વાક્યો એમ સૂચવે છે કે સમગ્ર સજીવ સૃષ્ટિનું સર્જન કોઇ ઇશ્વરી પરિબળની ખાસ ઇચ્છા કે હેતુનું પરિણામ નથી. દરેક સજીવનું અસ્તિત્વ અને વિકાસ ક્રમશઃ, તબક્કાવાર થયેલ છે. ડાર્વિન વિશ્વનો એવો પ્રથમ જીવવૈજ્ઞાનિક હતો કે જેણે જૈવિક ઉત્ક્રાન્તિના નિયમો શોધી કાઢીને આ ક્રમિક વિકાસ સમજાવ્યો છે. આ નિયમોને કુદરતી પસંદગીના નિયમો(Laws of Natural selection) તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી પસંદગીના નિયમો એટલે શું? ડાર્વિનના મત મુજબ આ નિયમો પાંચ છે. (૧) સજીવ ઉત્ક્રાન્તિ એ હકીકત છે. દરેક જૈવિક સજીવોનો જન્...